Posted on જાન્યુઆરી 29, 2019 by Mukesh Joshi
તું ભરતી ને હું ઓટ
મને ગમે ભીતર વળવું તું બહાર મુકે છે દોટ
આલિંગનનો લઇ હરખ તું ઠેઠ કિનારે જાય
મારી બુમે લહેરો પાછી ઘરમાં આવી ન્હાય
તું ઉછળે તો લાગે જાણે ઊર્મિનો વરઘોડો
મારે કારણ ઉદાસીઓને મળે આશરો થોડો
જળના ઘરમાં રહીએ ક્યાં છે ઝળઝળિયાંની ખોટ .. તું ભરતી ને હું ઓટ
શીત ચાંદની નર્તન કરતી કેવળ તારા રાગે
મારે કારણ દરિયા જેવો દરિયો માંદો લાગે
તારી પાસે જોશ જવાની જાદુ જલસા મંતર
મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર
મારે મંદી તારા ભાયગમાં પણ કાળી ચોટ .. તું ભરતી ને હું ઓટ
Filed under: geet | Tagged: ગીત | Leave a comment »
Posted on ડિસેમ્બર 20, 2015 by Mukesh Joshi
એક કાર્યક્રમ નિમિતે કલકતા જવાનું થયેલું. ડીસેમ્બર નો મહિનો. સાલ ૨૦૧૫ બહુ સમય થી ઈચ્છા હતી કે રામકૃષ્ણ પરમહંસ ની ભૂમિ બેલુર મઠ જવાય તો સારું અને જવાનો મેળ પડી ગયો. સવારે ખાનગી કંપની નો ડ્રાયવર લેવા આવ્યો. અમે બે જ જણા ને સેવન સીટર કાર. એની બાજુમાં જ બેઠક લીધી. જગતમાં બધાને કઈ ને કઈ કહેવું હોય છે શરત છે એને કોઈ પ્રેમથી સાંભળે એ ન્યાયે એને સાંભળવાની તૈયારી બતાવી. ધીમે ધીમે એ ખૂલતો ગયો. ૩૦ કે ૩૨ વર્ષનો બિહારનો એ ગાડી ચાલક પોતાની અધ્યાત્મ યાત્રા નું વર્ણન કરવા લાગ્યો. એ કહેતી વખતે એના મુખ ના ભાવ પર એક અજબ શાતા પથરાતી જોયેલી. જેમ જેમ રસ થી વાત સાંભળવાની શરુ કરી કે એક તબક્કે એણે એને થયેલા અંગત અનુભવો બયાન કર્યા . કૃષ્ણ વિષે એણે કહ્યું કે કૃષ્ણને વૈષ્ણવો વગર ચાલે એમ જ નહતું ત્યાં આવવા એ લાલાયિત હતા , એટલે જ જેમનું હૃદય વૈષ્ણવ જેવું હતું એવા નંદ અને જશોદા ના ઘરે પહોચી ગયા. નહિતર જન્મ ની સાથે ત્યાં જ કેમ ગયા ? અમે એજ નંદ ના વંશ માં છીએ હા અમે નંદ ના વંશ ના ગોવાળિયા છીએ. આનંદ સાથે આશ્ચર્ય થયું. બેલુર મઠ આવતા પહેલા સત્સંગ ની વ્યવસ્થા કેવી રીતે થઇ ગઈ એ તો ખબર નહિ પણ મુખ્ય સ્થાને ઉતારીને એ ગયો ને કહેતો ગયો કે પાછા આવો ત્યારે ફોન કરીને બોલાવી લેજો હું અહી જ કશે હોઈશ. કાચી કેરી જેવો તડકો અને બરફ ગોળો ખાઈને ફરવા નીકળી હોય તેવી હવા હતી. ફોટા પાડવાની મનાઈ હતી એટલે જે દેખાય એ મનથી જ કલીક કરવાનું હતું મઠ માં પ્રવેશતા જ મન આનંદ થી છલકાઈ ગયું. એક મહાન વિભૂતિ ની પવિત્ર જગ્યામાં પ્રવેશ થયો.કેટલા બધા એમના જીવનના પ્રસંગો આંખ સામે તરવરવા લાગ્યા. એમના પ્રિય શિષ્ય વિવેકાનંદ ના મરૂન કલરના શુજ જોયા. એમનો રોબ જોયો એમની ઘડિયાળ જોઈ અને થયું કે આટલા ઠસ્સા સાથે ય જીવનની અંદરની સાદગી કેવી ઉચ્ચ હશે !! એમના પ્રિય વૃક્ષ બીલી નીચે એમની સમાધી ના દર્શન થયા. હુગલીના વહી રહેલા પાણી વર્ષો પહેલાની ઘટનાના સાક્ષી રહ્યા હશે ? પાછા વળતા અમારા મિત્ર નો ફોન આવ્યો કે જલ્દી પાછા આવો આપણે ક્લબમાં જમવા જવાનું છે અને હા તમે શુજ પહેર્યા છે ? મેં ના કહી તો એમણે કહ્યું કે તો હું મારા શુઝ તમને આપીશ કારણ કે એના વિના પ્રવેશ નહિ મળે. આપણે બધા ત્યાં જ જમવા જવાનું છે મેં તો સેન્ડલ પહેરેલા. મઠ ની બહાર નીકળતા સ્વામી વિવેકાનંદ ના શુઝ યાદ આવી ગયા અને પ્રશ્ન થયો કે મનની સાદગી મોટી કે શરીરના પહેરણ ? પરમહંસની ભૂમિમાં થી બહાર નીકળતા અને ગાડીમાં ગોઠવાયા પછી ક્લબમાં જમવાની વાત કરતા પહેલા કોઈ બીજાના શુઝ પહેરવા પડશે એ વાતે જ મનમાં ડંખ પડી ગયા. ગાડી ઉતારે પહોચી. મને જોઇને મિત્ર રાજી થયા ને બોલ્યા કે એક સરસ સમાચાર છે કે અમે પ્રોગ્રામ બદલી નાખ્યો છે આપણે ક્લબમાં જમવા જતા નથી અહી જ પ્રેમથી જમીશું.
બેલુર મઠ નું હવાનું એક જોકું સહેજ પાસે આવીને વાળ ઉડાવીને ચાલ્યું ગયું ને પેલો ગાડીનો ચાલક મંદ મંદ હસી રહ્યો.
Filed under: Uncategorized | Leave a comment »
Posted on ડિસેમ્બર 14, 2015 by Mukesh Joshi
ગજબની પર્સનાલીટી હોય છે અસત્યની. એક વાર હાથ મેળવો કે ઉભે ઉભા ખેંચાઈ જાઓ એની તરફ એની સાથે મળી ગયા પછી જિંદગીને નશો ચઢે છે. એ મળે છે ત્યારે જ કહી દે છે કે મારી સાથે કાયમ ઓનલાઈન જોડાયેલો રહો.મજા આવશે. તમે હા કહો કે તમારા નામથી એની વેબ્સાઈટ પર લોગીન કરાવે છે અને પાસવર્ડ ? બધ્ધા માટે એક : બસ આટલું જ ટાઈપ કરવાનું : “સામે વાળો જુઠ્ઠો છે” અને તરત જ લોગીન થઇ જાય બસ પછી શું ? જલસા. દાંત માં દૂ:ખતું હોય , લબકારા મારતા હોય ત્યારે પેનકિલર કેવી ટેમ્પરરી રાહત આપે એવી રાહત એમાં મળે . નાની નાની વાતે જૂથ બોલ્યા જ કરવાનું. છાયડા જેવું લાગે. જેટલી વાર આવું કરો એટલી વાર એની વેબ્સાઈટ ઉપર તમારી નોધ લેવાય અને પોઈન્ટ વધતા જાય અને એકવાર અમુકથી વધારેપોઈન્ટ થાય કે ઓટોમેટીક અધર્મ ડોટ કોમ પર તમારું લોગીન થઇ જાય . જો કે પહેલા તો ડર લાગે પણ જેવું અધર્મ ડોટ કોમ ખુલે કે ખબર પડે કે આપણા પહેલા કેટલાય ધર્મગુરુઓ , કહેવાતા સમાજસેવકો અને લગભગ બધા જ રાજકારણીઓ, મિડીયાકર્મીઓ, ન્યાયાધીશો અનેક વાર આ સાઈટની મુલકાત લઇ ચુક્યા હોય છે અને મોટાભાગ ના ઓનલાઈન હોય છે અને ઘણાએ તો પ્રીમીયમ મેમ્બરશીપ મેળવી લીધી છે બસ પછી આપણે શું કામ શરમાવું ? અને આ જ સાઈટ પરથી તમને અનીતિ , બળાત્કાર , ભ્રષ્ટાચાર , આતંકવાદ બધાની જોઈએ તેવી ટીપ મળે છે એ પણ મફતમાં. એટલી મજા આવે કે દરેક દિવસ સોના જેવો અને રાત ચાંદી જેવી. અધર્મ ડોટ કોમ જેટલી વધારે ક્લિક થાય એમાંથી કલિયુગ પોતાના શ્વાસ લેતો હોય છે એમાંથી જ એને કાર્બન ડાયોક્સાઈડ મળે છે (કલિયુગ ઓક્સીજન થી નથી જીવતો કાર્બન ડાયોક્સાઈડ થી જીવે છે ). બિચારા સત્યની વેબ્સાઈટ પર આખા દિવસમાં જેટલી ક્લિક થાય એનાથી હજાર ગણી કલીક અસત્યની સાઈટ પર ૧ મીનીટમાં થઇ જાય છે. થોડા વર્ષો સુધી આ વેબ્સાઈટ વાપરો પછી તમારી બંને આંખના નંબર બદલાઈ જાય છે. ચમત્કાર થાય છે આપણું દરેક અસત્ય ધીમે ધીમે સત્ય જેવું લાગવા માંડે છે. આપણ ને એમ જ લાગે છે કે હું સત્યના પક્ષે છું પછી કોઈ છેલા શ્વાસ લેવાનો દિવસ આવે છે ગભરામણ શરુ થાય છે પરસેવો વળવા મંડે છે બેચેની જેવું લાગે છે.હવે શું કરવું સુજતુ નથી. કોઈ સત્ય નજીક આવી રહ્યા નો ભાસ થાય છે હવે પરિવારજનો કઈ સત્ય બોલશે તો એ સાંભળી શકાય એવી સ્થિતિ નથી અસત્યની વેબ્સાઈટ પર લોગીન કરવા જાઓ છો પણ આજે જ લોગીન થતું નથી હવે ? હવે ? ને એક અટ્ટહાસ્ય સંભળાય છે..”દોસ્ત , બીજું બધું તે જુઠ ઠેરવી નાખ્યું પેલાની સાથે રહી.. પણ એણે તને એ જ ના કહ્યું કે મૃત્યુ એ પરમ સત્ય છે , ..ચલ હવેમારી સાથે ..” ને આખી જિંદગી અસત્ય ડોટ કોમ જીવેલો માણસ “મૃત્યુ એ જ સત્ય ડોટ કોમ” પર રજીસ્ટર થાય છે
Filed under: article, Uncategorized | Leave a comment »
Posted on ઓક્ટોબર 30, 2015 by Mukesh Joshi
પહેલી વાર મારો લેખ એક મેગેજીનમાં છપાયેલો એ દિવસ હું નહિ ભૂલી શકુ. મનોમન ભગવાનની પૂજા કેમ કરાય તે ખબર ન હતી પણ તે દિવસે મેં મેગેજીનની મનોમન પૂજા કરેલી. હરખ કરવા મારા કંજૂસ સ્વભાવની વિપરીત જઈને પાંચેક જેટલી કેડબરી લઇ આવેલો ને દોસ્તો ને ખવડાવેલી.. મારી ઈચ્છા હતી કે એ બધા મારા ફોટા સહિતના લેખ ને ખુબ વધાવે .જો કે કોઈએ ખાસ પ્રતિભાવ આપ્યો નહિ એટલે મેં ધારી લીધેલું કે આ લોકોને સાહિત્યમાં શું ખબર પડે ? પછી તો જે લોકો પૂછે કે શું નવાજુની છે તેને હું મારું મેગેજીન વાળું પ્રકરણ શરુ કરતો.એ લોકો મારા ગુજરી ગયેલા બાપની ઈજ્જત ખાતર સાંભળી લેતા. એમાં વળી દસેક દિવસ પછી કોઈક વાચકે પત્ર લખ્યો ને એમાં લખેલું કે તમારા જેવા ઉગતા લેખકો આટલું સારું શરૂઆતમાં જ લખશે તો ભારતને ફરી રવીન્દ્રનાથ ટાગોર મળે તેવી શક્યતા ઉભી થાય છે .. બસ.. થઇ રહ્યું . અમારા ગામમાં સગવડ ન હતી એટલે બાજુના શહેરમાં જઈને એ પત્ર લેમિનેટ કરાવી લીધો . દિવસમાં એક વાર મેગેજીન જોવાનું ને પેલો પત્ર તો વાંચવાનો જ . હનુમાન ચાલીસા કરતા પણ પત્રનો પાઠ કરવાની મજા આવતી. પછી તો ધૂન ચડી ગઈ .. તે બીજો લેખ લખ્યો ને દિવાળી અંક માટે મોકલ્યો. અને દોસ્તો , સગા વ્હાલા સહુને આ અંક લેવા માટે ખાસ આગ્રહ કરેલો. મેગેજીન ના વખાણ પણ કર્યા
દિવાળી અંક આવ્યો ને ચારેક વખત ઉથલાવી જોયો. પણ આપણો લેખ ન મળે. સાંજ સુધી ચેન ન પડ્યું એટલે તંત્રી ને ફોન જોડ્યો . મારી ઓળખાણ આપી . તંત્રી બોલ્યા કે તમારો લેખ આ અંક માં લઇ શકાય એવો ન હતો અને તમારો લેખ છાપવા જતા બીજા સારા લેખો રહી જતા હતા. ફોન કટ કર્યો. ઓટ વખતે દરિયાની હાલત થાય એવી હાલત થઇ ગઈ. છાતીમાં જાણે કોઈએ ચારે બાજી ટાકણીઓ ખોસી દીધી હોય એવું દુખવા લાગ્યું . જો કે એક બહુ સારું થયું કે કોઈએ પેલું મેગેજીન ખરીદવાની તસ્દી લીધેલી નહિ એટલે ગામમાં ઈજ્જત બચી ગઈ આવું બે ચાર વાર બની ગયું . દરેક વખતે મારા લીધે બે ચાર સારા લેખો રહી જતા હતા એવું તંત્રીનું કહેવું થતું હતું .(હવે એ લોકોએ તંત્રીને મસ્કા માર્યા હશે .. આપણને મસ્કાબજીમાં રસ નહી)
એક દિવસ એક મિત્રના ઘરે ગયો તે ફેસબુક જેવું કૈક ખોલીને બેઠો હતો મને તો જોવાની મજા પડી ગઈ. મારો રસ જોઇને એણે મારા નામનું એકાઉન્ટ ખોલાવી આપ્યું. બે ચાર દિવસ શીખતા થયા. એક ફોટો મુક્યો. કોઈકે કોમેન્ટ લખી : બાપુ જામો છો. બસ પછી મારો મેગેજીનમાં નહિ છપાયેલો લેખ મુક્યો ને તમે માનશો ? ૮ લાઈક આવી. હવે એમનેમ તો ન જ આવે ને ? પણ પેલા તંત્રીને કોણ સમજાવે ? ૧૦૮ મણકા ની માળા ફેરવીને જે ના મળે તે આ ૮ લાઈકે આપ્યું. જીવ તો છાતીમાં સમાતો ન હતો. પેલો પત્ર હવે રોજ જોવાનું યાદ આવતું ન હતું. વધારે લાઈક માટે મેં તનતોડ મહેનત શરુ કરી. થોડો ખર્ચો કરીને હાથમાં પેલું મેંગેજીન લઈને ફોટા પડાવ્યા. ને એને પ્રોફાઈલ ફોટો બનાવીને મુક્યો . પછી તો જેવો લેખ લખાય કે ફેસબુક પર છાપી દેવાનો. . ને સાંજ પડતા પડતા કેટલી લાઈક છે જોવાનું. ૮ થી ૧૨૮ પહોચતા માત્ર ૬ મહિના લાગ્યા . જીવન સાર્થક થવા લાગ્યું.જે મનમાં આવે તે લખતો ને સાંજે રોકડી લાઈક ગણી લેતો. એમાં નવા સ્માર્ટ ફોન લીધા પછી વોટ્સએપ પર સભ્ય બન્યો . ક્યારેક નાના નાના વિચારો લખતો . એમાય તે આપણે જામવા માંડ્યા. પછી તો બે ચાર ગ્રુપ નો એડમીન જ બની ગયો. આખો દિવસ ગ્રુપ ને મેનેજ કરવું કઈ જેવી તેવી વાત છે ? ક્યારેક તો જમવાનો સમય ભુલાઈ જતો. મોડી રાત સુધી ઉજાગરા કરતો પણ સાહિત્ય માટે કઈ પણ કરવા તૈયાર હતો . ધીમે ધીમે મારો રૂઆબ ફેલાતો ગયો. મેં બહુ સખત શબ્દોમાં મારા ગ્રુપ માં કહી દીધું કે મને પૂછ્યા સિવાય કોઈએ કઈ લખવું નહિ .. નહિ તો પહેલા જેમ લોકો નાત બહાર મુકતા એમ તેમને ગ્રુપ બહાર કરી દઈશ. બે ચાર જણને કાઢી મુક્યા .પછી પેલો તંત્રી યાદ આવ્યો. એટલે તંત્રી વિષે લખવાનો સમય કાઢ્યો . લખ્યું થોડીક લાઈક આવી . એટલે એ જ વાત મેં ફેસબુક પર મૂકી . ત્યાય થોડી કોમેન્ટ આવી. મને લાગ્યું બધા જ લોકો મારી સાથે છે મેં વખોડાય એટલા એમને વખોડેલા. હવે તો ગામ માં ય મારો વટ પડતો. જો કે મારા થી સાવ નાની ૧૮ વર્ષની પેલી રીમા એના ફોટા ના આધારે જેટલી લાઈક મેળવતી એટલી હું મહિનાની કુલ નહતો મેળવી શકતો . પણ એ કઈ સાહિત્યિક થોડી છે ? એટલે જાણી બુજીને હું એની પોસ્ટ પર કોમેન્ટ લખતો નહિ.
એક દિવસ પેલા તંત્રી નો ફોન આવ્યો ને મને ખુશીથી કહ્યું કે આ વર્ષનો અમારા મેગેજીનનો નવોદીતોનો એવોર્ડ તમને આપવામાં આવે છે . આવતા મહીને સન્માન અને એવોર્ડ આપીશું. થોડા દિવસ પહેલા જ મેં જેમને ખુબ છોલેલાં એણે જ મને નિમંત્ર્યો. હું તો પોરસાયો . એવોર્ડ લેવો કે નહિ તે બાબતે અવઢવ થઇ કારણ કે હવે મને નવોદિતોના એવોર્ડમાં કઈ રસ ના હતો. યાર ત્રણ ચાર ગ્રુપ નો એડમીન અને ૧૫૦ જેટલી લાઈક મેળવતો માણસ આવો નાનો એવોર્ડ સ્વીકારે ? હજુતો પેલા તંત્રીના શબ્દો મનમાં ગુંજતા હતા છતાં સાહેબ મોટું મન રાખવું એ તો સાચા માણસ ની નિશાની છે અને રૂપિયા પણ કામના હતા. એક સાહિત્યકારને નાતે ખુબ મનોમંથન ચાલ્યું . વોટ્સ એપ બંધ કરીને ફેસબુક ડ્રોપ કરીને બસ શું કરવું એ વિચારતો રહ્યો . એક અફલાતુન પ્લાન બનાવ્યો. મેં એવોર્ડ લેવાનું નક્કી કર્યું . બધા જ ગ્રુપ મેમ્બર્સેને જાણ કરી દીધી. સહુને આવવા નિમંત્રણ આપી દીધું. સમારંભનો દિવસ આવી ગયો. ખુબ હસતા હસતા ફોટા પડાવ્યા. શુભેચ્છાઓ સ્વીકારી. મેંગેજીનમાં મારા ફોટા સારા આવે તે હેતુથી સારો સુટ પહેરીને ગયેલો. બધું પત્યું . તમે નહિ માનો એ ફોટાઓની ફેસબુક ઉપર ખુબ બોલબોલા થઇ . કોઈકે ફેશન ના કોઈકે સ્ટાઈલ ના તો કોઈએ બાજુમાં ઉભેલા લોકોના વખાણ કર્યા..
બસ પછી પંદર દિવસ પછી મેં એવોર્ડ પાછો આપવાનું નક્કી કર્યું. જોરશોરથી જાહેરાત કરી બધા વિચારમાં પડી ગયા.આ સમાચારોને છાપાવાળાઓ છાપ્યા. ટીવીમાં આવ્યા મને પૂછવામાં આવ્યું તો મેં કહ્યું સરપંચ કઈ ધ્યાન આપતા નથી..ચંદ્રને એ લોકો આખો મહિનો ખીલવા નથી દેતા કેટલાક લોકોએ જાણી બુજીને અમાસો ગોઠવી છે. આ ગામમાં જયારે જયારે પાનખર આવે છે ત્યારે પાન ખરી જાય છે . પણ તે પણ તરત જ ઉગી જાય એવી કોઈ વ્યવસ્થા સરપંચે કરી નથી. અહી રાત પડે કે તરત જ અંધારું થઇ જાય છે સૂર્ય ને રોકવાની કોઈ કોશિશ જ નથી કરતું છેવટે ગામ ના લોકોએ ફોગટમાં વીજળીનું બીલ ભરવું પડે છે. અહી માણસો બોલે છે ત્યારે અવાજો આવે છે જેથી શાંતિ નો ભંગ થાય છે. ગામ માં રહેવું બહુ જોખમી બની ગયું છે હું બહુ દુખી છું એટલે આ એવોર્ડ પાછો આપું છું. મારાથી બીજું તો કઈ થઇ શકતું નથી . પણ હા એટલું જાણું છું કે એવોર્ડ લેતી વખતે જેટલી પ્રસિદ્ધિ ન હતી મળી એટલી પાછા આપતી વખતે મળી છે તે મારે માટે સંતોષ નો બાબત છે. આખરે એક સાહિત્યકાર કરી પણ શું શકે ? પણ મેં હવે સાહિત્યની બહુ મોટી સેવા કરવાનું નક્કી કર્યું છે કે મારા જેટલા મિત્રોએ એવોર્ડ લીધા છે તેમનો આત્મા જાગે તે માટે રૂબરૂ મુલાકાત લેવાની .તેમને સરપંચ વિષે માહિતી આપવાની. આખરે સરપંચ એના મનમાં સમજે છે શું ?
Filed under: Uncategorized | 1 Comment »
Posted on એપ્રિલ 18, 2015 by Mukesh Joshi
કોઈ વિશાળ જગ્યાએ સમગ્ર પૃથ્વી વાસીઓ એક જગાએ ભેગા થયેલા. સહુને આમંત્રણ અપાયેલું. સહુ આવી ગયા પછી એક મહારથીએ કહ્યું કે ઈશ્વરે આપણને અનંત યુગોથી સૂર્ય આપ્યો . પ્રાણ માટે પ્રાણવાયું આપ્યો. જળ આપ્યુ. ઘઉંનો એક દાણો વાવ્યો તો અનેક કરીને આપ્યા. આપણે સહુ એના અનંત ઉપકારના ઋણી છીએ એટલે એમને શ્રેષ્ઠ સંચાલક અને શ્રેષ્ઠ સર્જક નો નોબેલ કરતા પણ મોટો અવોર્ડ આપવા માંગીએ છીએ એટલે પહેલીવાર ભેગા થયા છીએ . આટલું સાંભળતા જ અર્ધાથી વધુ લોકોએ વિરોધ નોધાવ્યો અને કહ્યું ઈશ્વર છે જ નહિ તો અવોર્ડ આપવાની વાત જ ક્યાં આવી? અને લોકો ઉઠીને ચાલી ગયા. કેટલાક અસમંજસ માં પડ્યા બેસી ન શક્યાં અને ઉઠી ગયા બાકીના લોકો જરા મોકળા થયા. ફરી પેલા મહારથીએ કહ્યું પહેલા તો ઈશ્વરનું આહ્વાન કરવું પડશે, બોલાવવા પડશે એનું શું કરીશું? ધર્માચાર્યોએ કહ્યું એ કામ અમારું. સુંદર લખાણ કરેલું સન્માનપત્ર બનાવવાનું કામ લેખકોએ લઇ લીધું. એને સોનાના પત્ર ઉપર દરેક અક્ષર હીરાથી લખવો છે એમ મહારથીએ જાહેરાત કરી કે ધનવાનોએ એ કામ ઉપાડી લેવાની તૈયારી બતાવી. આખો સમારંભ સુંદર રીતે પર પડે એ માટે કેટલાક રાજકાજના અનુભવી લોકોની કમિટી બનાવવામાં આવી
બધું ગોઠવાતું હતું કે ધર્માચાર્યોમાં મતભેદ પડ્યા.દરેક આચાર્ય કહેતા કે અમાંરો રસ્તો શ્રેષ્ઠ છે. ઈશ્વર આ માર્ગે જ આવે છે અને પોતપોતાના ગ્રથોના પ્રમાણ આપવા લાગ્યા. બીજાને ભાંડવા લાગ્યા. પછી તો ઈશ્વર ઉપર અમાંરો પ્રથમ અધિકાર છે ત્યાં સુધી વાત પહોચી ગઈ. ધનવાનોએ એમને ચુપ કર્યા પણ ધનવાનો એ શરત મૂકી કે સન્માનપત્રની નીચે સોનાથી અમારા પણ નામ કોતરવામાં આવે કે અમે દાન કર્યું છે અને ઈશ્વર બરાબર વાંચી શકે તે રીતે લખવામાં આવે. કમીટી સભ્યો માં એટલા મતભેદ પડ્યા કે વાત મારામારી સુધી પહોચી ગઈ સભામાં ધાધલ ધમાલ થઇ ગઈ સામાન્ય માણસોએ શું કરવું એની ખબર ન હતી કેટલાકે કમિટી મેમ્બરના તો કેટલાકે ધર્માચાર્યોના તો કેટલાકે ધનવાનોના પગ પકડી લીધા. બહાર નીકલી ગયેલા નાસ્તિકોના ટોળા એ આ જોયું તેઓ જોરજોરથી હસવા લાગ્યા અને કોક બોલ્યો કે અમે તો પહેલાથી કહેતા હતા કે ઈશ્વર છે જ નહિ નહિ તો એના માટેના એવોર્ડ ની વાત કરનારા વચે આટલો ઝગડો થવા દે ખરો?
મુકેશ જોષી
Filed under: Uncategorized | Leave a comment »
Posted on ફેબ્રુવારી 23, 2015 by Mukesh Joshi
વસંત ઋતુ નો પગરવ સંભળાય છે હવા સૂર્યપ્રકાશ ના રંગે રંગાતી જાય છે
આંબાની મંજરીઓએ હળવે સૂરે ગાવાનું શરુ કર્યું છે કોયલના ટહુકાઓ શેરડીના રસ
સાથે હરીફાઈમાં ઉતર્યા છે અને એમની સરસાઈ ચાલી રહી છે શિયાળાનો સેન્ડ ઓફ ગોઠવાઈ
રહ્યો છે ઉનાળા માટે ગરમ લૂ ને પણ આમંત્રણ અપાઈ રહ્યા છે બંધ પડેલા પંખાઓએ હવે
ઓવરટાઈમ કરવો પડશે એની જાણ કરી દેવામાં આવી છે વેકેશન થી થોડે દૂર ઉભેલા
સ્કુલ અને કોલેજોના દરવાજાઓ આજકાલ પરિક્ષા આપવા આવતા બાળકોને જોઇને
કીચુડ કિચુડ કર્યાં કરે છે માંબાપો બચ્ચાઓ કરતા વધારે ચિંતિત થઈને ઘરને મંદિરમાંથી
ચિન્તાકેન્દ્ર બનાવી રહયા છે માર્ચ નજીક હોવાથી બાકીના સહુ હિસાબોમાં પડ્યા છે
ગુલમ્હોરે રાતા થવાની શરૂઆત કરી છે પણ લાલ આંખે થયેલા ઉજાગરાઓ એ તરફ ધ્યાન
જવા દેતા નથી નવાઈ છે કે વર્ષે એક વાર ઉપરવાળો પ્રેમપત્ર મોકલે છે પણ ત્યારે જ
આપણી આંખનું મોતિયાનું ઓપરેશન ગોઠવાયું હોય એવો તાલ છે
આ ઋતુ માં દરેક જણે પોતાના સહુથી વધારે પ્રિયજનને એક પત્ર તો લખવો જ પડશે એવો
આદેશ મળે તો છાતી ઉપર હાથ મૂકીને કહો તમે કોને નામે પત્ર લખો ?
એ જ નામ ને. . . જેને કારણે તમને જીવવું ગમે છે જોવું ગમે છે. . જાણવુ
ગમે છે અને જેની આંખોમાં જોવાથી તમને જીવવાની શક્તિ મળે છે જે હસે છે
તો તમે રાજીના રેડ થઇ જાઓ છો અને જેના રાજીપા માટે તમે કઈ પણ કરવા તૈયાર
થઇ જાઓ છો.. .. હા એનું નામ પ્રેમ છે એને લાડમાં લોકો જીવનની વસંત કહે છે
મુકેશ જોશી
Filed under: article | Tagged: article | Leave a comment »
Posted on જુલાઇ 13, 2014 by Mukesh Joshi